
આજે ઉજવાશે હોળીનું પર્વ : જ્વાળાની દિશા કઈ છે તેના આધારે આ રીતે થાય છે આખા વર્ષનો વરતારો!
હોળીની જ્વાળાઓ કઈ દિશાઓમાં જાય છે તેના પરથી ખગોળીય અને જ્યોતિષની દૃષ્ટિએ આગામી ચોમાસુ કેવું રહેશે તેનો અંદાજ મળે છે. 13 માર્ચ એટલે કે આજે પ્રગટાવનારી હોળીની જ્વાળાની દિશા પરથી આગામી ચોમાસાનો વરતારો કાઢવામાં આવશે.
Holi 2025: આજે હોલિકા દહન કરવામાં આવશે. આ દિવસે હોળીની જ્વાળાઓ પરથી આગામી ચોમાસાનો વરતારો જાણવા મળે છે. હવામાન વિભાગ નહોતું તેવા સમયે વિવિધ પ્રાંત અને વિસ્તારોમાં કુદરતી સંકેતોને આધારે વરસાદ, વાવાઝોડું, કૃષિ પાકો અને સમગ્ર વર્ષને લઈને વર્તારો રજૂ કરવામાં આવતો હતો. આજે હોળીની જ્વાળાઓ કઈ દિશાઓમાં જાય છે તેના પરથી આગામી ચોમાસું કેવું રહેશે તેનો અંદાજ મળે છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આજે પણ ઘણા લોકો હોળીના વર્તારા પરથી ચોમાસાનો અંદાજ મેળવે છે.
જ્વાળા પરથી વર્તારો કરતાં નિષ્ણાતોના કહેવા મુજબ જો હોળીનો પવન પૂર્વ દિશામાં હોય તો આ વર્ષે બારઆની ચોમાસું થાય છે. સામાન્ય કરતાં વધારે સારું ચોમાસુ થાય છે. એકંદરે વર્ષ સુખદ પસાર થાય છે. જો હોળીની જાળ પશ્ચિમ દિશામાં હોય તો આઠઆની ચોમાસુ થાય છે. મધ્યમ પ્રકારની ખેતી થાય. પશુ માટે ઘાસચારો સારો થાય છે. પાણીની જો બચત શક્તિ સારી હશે તો ભરપૂર પ્રમાણમાં પાણીનો ઉપયોગ થઈ શકે એવી સારી સ્થિતિ થાય છે. એકંદર વર્ષ સારું પસાર થાય છે.
પૂર્વ દિશાનો વાયરો હોય તો સામાન્ય વરસાદ રહે, ખંડ વૃષ્ટિ થાય. એકંદર વર્ષ મધ્યમ પસાર થાય. ઈશાની વાયરો હોય તો વર્ષ સુખકારક રહે, ઠંડી ખૂબ પડે અને ઉનાળો મોડો શરૂ થાય. અગ્નિ દિશાનો વાયરો હોય તો ચોમાસુ મોડુ અને વરસાદ થોડો થાય. પાણીની ખેંચ રહે. વાયવ્ય દિશાનો વાયુ હોય તો ચક્રવાતનો ભય રહે. જો વાયરો આકાશમાં ઘૂમરી લેતો અને ચારેય દિશામાં વાયુ પ્રસરતો હોય તો દુષ્કાળનો ભય રહે.
હોલિકા દહન વખતે હોળીની જાળ ઉત્તર દિશામાં હોય તો દેશમાં વરસાદ સારો થાય છે. ગાજવીજ સાથેનો વરસાદ થાય છે. ક્યારેક અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતી પણ સર્જાય છે. વિપુલ પ્રમાણમાં ધાન પાકે, જગતની તાત એટલે ખેડૂત ધાર્યા પ્રમાણે પાક થાય. લોકોનું જીવન સારું પસાર થાય, લોકોના મન પ્રફુલ્લિત રહે, શાંતિનો એહસાસ થાય, વાતાવરણમાં એકંદરે સુખનો અવનુભ થાય છે. એકંદરે શ્રેષ્ઠ વર્ષ પસાર થાય છે.
હોળીની જાળ દક્ષિણ દિશામાં હોય તો દેશમાં દુષ્કાળ જેવી સ્થિતિ થાય છે. દેશમાં પૈસાની અછત થાય, પાકની અછત સર્જાય. દુષ્કાળના કારણે જાહેર જીવન પણ શુષ્ક, નીરસ, મંદીનો માહોલ વર્ષ દરમિયાન રહે છે. તેમજ જો હોળીની જાળ વાયવ્ય દિશામાં હોય તો સોળઆની વર્ષ પસાર થાય છે. સારો વરસાદ થાય, પવન-તોફાન સાથે વરસાદ થાય. લાંબો સમય ચોમાસુ રહે. ધનધાન્ય સારા થાય. ઉનાળાનો પ્રારંભ મોડો થાય. હોળીની જાળ અગ્નિ દિશામાં હોય તો દેશમાં વરસાદ ઓછો થાય. ગરમીનું પ્રમાણ વધે. અસહ્ય ગરમીના કારણે રોગોમાં વૃદ્ધિ થાય, તાવ, ચામડીના, પેટના, ગરમીજન્ય રોગોમાં વધારો થાય, ગરમી વધુ પડે છે.
જો હોળીની જાળ નૈઋત્ય દિશામાં હોય તો એકંદર વર્ષ સાધારણ રહે છે. ઠંડીનું પ્રમાણ વધે છે. પાકમાં હાનિ થાય, જીવજંતુ વધે, જીવલેણ રોગનો ફેલાવો થાય, તીડ જેવા જંતુ જે પાકને નુકસાન કરી શકે એવા જંતુઓની શક્યતા વધે છે. જો હોળીની જાળ ઇશાન દિશામાં હોય તો વર્ષ નબળું પસાર થાય છે. વર્ષ સોળ આની રહે છે. જો હોળીની જાળ ઉપરને ઉપર ચડે તો દેશમાં યુદ્ધ-લડાઈ જેવી પરિસ્થિતી સર્જાય. દેશમાં કટોકટી જેવી સ્થિતિ થાય છે. જો હોળીની જાળ ચોતરફ ફેલાય તો દેશમાં વાવાઝોડું કે ધરતીકંપ કે પૂર જેવી કુદરતી આફતોનો સામનો કરવો પડે છે.
આપણા ઋતુચક્રમાં વરસાદ માટે વિવિધ પધ્ધતિઓનો ઉલ્લેખ જોવા મળે છે. જેમ કે, રોહિણીનો વાસ, વર્ષા સ્થંભ, વાહન, ચોક્કસ તિથિઓમાં પવનની દિશા, સર્વતોભદ્ર ચક્ર, સપ્ત નાડી ચક્ર, મહા કવિ ધાધના વાક્યો. ભડલી વાક્યો. હોળીની જાળની દિશા, અખાત્રીજના પવનની દિશા વગેરે. આની મદદથી કરાયેલ વર્તારા ઉપયોગી નિવડે છે. જયારે હવામાનની અને વરસાદની આગાહિ કરવા કૃત્રિમ ઉપગ્રહો કે અદ્યતન કમ્પ્યુટરો ન હતા ત્યારે ઉપરની પધ્ધતિઓ વિશેષ વપરાતી અને આજે પણ વપરાય છે.